જાગીરદારી સમયના સ્મરણો
જાગીરદારી સમયના સ્મરણો
ખારોપાટ નામ જેણે પાડ્યું એને મુબારક અને મહદઅંશે કચ્છના નાના રણની કાંધી અને ખારા વાયરા અને જમીનમાં પણ ઊંચા તળમાં પાણી ખારા એટલે ખારપાટ કહો તો વાંધો નઇ પણ માણસો ઓહો હો, અહીંના લોકોના મનમાં વહેવારમાં, વર્તનમાં મહેમાન પરોણાગત માં અને સંસ્કૃતિમાં જે મીઠાશ છે એને મહેસુસ કરો પછી ખારોપાટ કહેવું થોડું અતળું લાગે, જાગીર ૧૯૪૭ ની શાલ માં ગઈ અને જાગીરદારો ગીરાસદારો માટે રાજા રજવાડાં નવાબો માટે એક કપરો કાળ શરૂ થયો, રજવાડા ઓએ પણ એવું વિચાર્યું કે મર્જર થાય તો નવા જમાના નો લોકો ને શિક્ષણ રોડ રસ્તા મોટા દવાખાના વીજળી તથા પાયાની જરૂરિયાતોનો લાભ મળે,કે જે નાના નાના ગીરાસદારો કે રાજાઓ જાગીરદારો ના કરી શકે, અંગ્રેજોની ગુલામી ભોગવીને બરબાદ થઈ ગયેલી પ્રજા જ્યારે સ્વતંત્રતા નો સ્વાદ ચાખવા માંગતી હોય તો પેઢીઓ સુધી માથે બેસાડીને ફરતી રૈયત ને હવે આપણે પણ સ્વતંત્ર કરી દઈએ એ નિયત ના કારણે લોકો સમજતા હતા કે રાજ પાટ પાછા આપતા રજવાડાં ના મન કચવાશે પણ હસતાં હસતાં આ રાજા રજવાળાઓએ જાગીરદારોએ ગીરાસદારોએ રૈયત પર રાજપાટ કુરબાન કરી દીધાં, કારણ કે સરદાર પટેલ જ્યારે મર્જરની મુહીમ ચલાવતાં હતાં ત્યારે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ઝાલાવાડ ચરોતર ભાલ વઢીયાર માં એક પણ એવો બનાવ નથી બન્યો કે જેમાં કોઈ રજવાડું આડું ફાટ્યું હોય બસ સહી કરી આપતાં, અને આ કુરબાની ની અને ત્યાગની અવેજી માં અહીંના લોકોએ જે આદર સન્માન સ્નેહ આપ્યો એ લોકોની ખાનદાની અને નીતિ અને અમારા તરફનો પ્રેમ કોઈ રજવાડાં થી અદકેરો હતો, ત્યાર થી મતલબ ૧૯૪૭ થી લઈને આજ ની તારીખ ૨૦/૧૦/૨૦૧૭ અને શુક્રવાર કારતક સુદ એકમ ને બેસતાં વર્ષે ૭૦ લાંબા વર્ષો સાત સાત દાયકાઓ પછી પણ અમારી રૈયત જે રીતે અમને આદર સત્કાર સન્માન સ્નેહ અને બાપુ નું સંબોધન આપે છે એ કોઈ રજવાડાં થી કમ નથી, મને પચાસ થયાં મેં એ દરબારી સમય જોયેલો નહીં પણ બેસતાં વર્ષે મને એની ઝલક સાફ જોવા મળે, પગે પાંચ દશ રૂપિયા અને શ્રીફળ નો ઢગલો થાય, કોઈ ફુલહાર લઈને આવે કોઈ મીઠાઈ લઈને આવે, ઢોલી વઘઇ વગાડી ને પરત ફરતા બે દાંડી પીટતા જાય, એકાદ ચારણ ક્યાંકથી આવી જાય અને અસલ દરબારી ડાયરો ભરાય ત્યારે ભૂતકાળ આપણી આંખો સામે સજીવ થઈ જાય, અને મોટાં ઘરડાં મોટિયાળ બધાં ભેગા થાય જુના જમાના ને આજના યુગ સાથે સરખાવે ત્યારે આપણે વિમાસણ માં મુકાઈ જઈએ કે આ યુગ સારો છે કે ભૂતકાળ સારો હતો, જેવા લોકો આવે એવી વાતું મંડાય અને ઘડી ઘડી વિષય બદલાતાં રહે, એક ટોળું ભરવાડના જુવાનિયા આવ્યાં મારા પિતાજી ઓળખી ના શક્યા કારણ કે બધાજ સ્કીન ટાઈટ જીન્સમાં હતાં અને કોઈ એંગલ થી ભરવાડ જેવા લાગે નઇ ત્યારે પેલાં જુના જમાનામાં બોરી અને કેડિયું પહેરીને આવતા ભરવાડો પર વાત નો વિષય જતો રહે, આજેય ગામ લોકો ફાળો આપીને માલધારી ને એક દિવસ ઢોર ચારવા માંથી મુક્તી અપાવે, કારતક સુદ એકમ નવું વર્ષ કહેવું ના પડે એનો આભાસ થાય કુણો તડકો અને વાતાવરણમાંથી ગરમી ગાયબ થઈ ગઈ હોય અને દિવસો નવા છે એવો કુદરતી અહેસાસ થાય, બપોર સુધી ગામના લોકો આવે અને બપોરના ત્રણ પછી આજુબાજુની અમારી જાગીરના ગામડાંના લોકો આવે સાંજ સુધી આમ લોકોનો સ્નેહ પ્રેમ અવિરત વરસતો રહે, સાંજ પડે એટલે શ્રીફળ ગણીને ચોટલી ઉતારી સૂકવવા મૂકી દઈએ, અને થોડું અંધારું થાય એટલે કાલની રાતનું બચેલું દારૂખાનું કાઢીને જાણે ગયા વરસના દુઃખોને ભડાકે દેવાના હોય એમ ધુમાડો ઉડાડી દઈએ, દરબાર વિરોધી લોકો દરેક કાળમાં રહ્યાં છે આજના વિરોધી કાળના લોકો એમ કહે છે કે હવે દરબારો પાસે શું બચ્યું નાગાઇ સિવાય ? એમને આજના શુભ દિવસે એટલું કહીશ કે કો'ક'દી નમીને તો જો તને તારી મા અને બાપ બન્નેનો સ્નેહ જો દરબારની આંખમાં ના વંચાય ને તો અમારી જણનારી લાજે વીરા....... ધન્યવાદ અમારી ગુજરાતની ખમીરવંતી ધરાને ધન્યવાદ અહીંના પાણીયાળા લોકોને અહીંની સંસ્કૃતિ ને અને ખાસ ધન્યવાદ એ ભગવાનને જેણે ખારાપાટ માં જન્મ આપ્યો.......
- શાનવાઝખાન મુર્તુઝાખાં મલિક દરબાર ગઢ઼ ,દસાડા,તા.દસાડા,જી ,સુરેન્દ્રનગર
Contect Admin
Harunkhan Bihari :- +919909575317
0 Comments
Thank you for visiting our blog and Comments.